આણંદ, મંગળવાર :: આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રસાર શિક્ષણ ભવન દ્વારા તાજેતરમાં “પ્રાકૃતિક કૃષિ” વિષય પર છ દિવસીય પ્રાદેશિક સ્તરનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી અંગેના જ્ઞાન અને કૌશલ્યને વ્યાવહારિક સ્તરે મજબૂત બનાવવાનો હતો. છ દિવસ દરમિયાન તાલીમાર્થીઓને કુદરતી ચક્રો, જમીનની તંદુરસ્તી, પાક અવશેષ વ્યવસ્થાપન તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી રોગ-જીવાત અને નિંદામણ નિયંત્રણ જેવા પાયાના વિષયો પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સૂક્ષ્મજીવોનું મહત્વ, ઉત્પાદનોનું પ્રમાણપત્ર અને માર્કેટિંગ વ્યૂહરચના વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તાલીમની અસરકારકતા વધારવા માટે અધિકારીઓને સરદાર પટેલ કૃષિ શૈક્ષણિક સંગ્રહાલય, યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત કરાવાઇ હતી.કાર્યક્રમના અંતિમ ચરણમાં કુલપતિ ડૉ. કે.બી.કથીરીયા અને EEI ના ડાયરેક્ટર ડૉ. જે. કે. પટેલે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
કુલપતિશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ તાલીમ દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ઉપયોગ કરી અધિકારીઓ પોતપોતાના રાજ્યમાં ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિનો સંદેશ પહોંચાડી જમીન અને સ્વાસ્થ્યની રક્ષામાં પાયાની ભૂમિકા ભજવશે.
આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કુલ ૨૫ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
